Verify Mobile Number
OTP has been sent to your on mobile number.
Don't receive the OTP? RESEND OTP
સ્વસાધના-કાળમાં પૂજ્ય શ્રીમોટા રચિત પ્રાર્થના
‘ તુજ ચરણે ’ ના ઉદ્ભવ અંગે
પ્રશ્ન : મોટા , ‘ તુજ ચરણે ’ હિમાલયનો પ્રવાસ કરતાં પહેલાં લખાયેલું ?
ઉત્તર : હા , પણ તેની પાછળ એક વાત છે . જ્યારે મારી ઉંમર ૨૪-૨૫ વર્ષની હશે ત્યારે નડિયાદ માં મેથડિસ્ટ્ ચર્ચના એક પાદરી – અમેરિકન ત્યાં હતા . તેમણે આપણા ધર્મ અને દેવદેવીઓ સંબંધે વાત કરી અને કહ્યું , ‘ તમારામાં ઘણાં બધાં શાસ્ત્રો , ઘણાં દેવદેવીઓ અને ગૂંચવાડો થાય એવું શાસ્ત્રપુરાણ વગેરે છે . જ્યારે અમારે ત્યાં એક જ ધર્મ અને એક જ ઈશ્વર ! ’ ત્યારે મેં કહ્યું , ‘ ના , એવું નથી . જુદી જુદી રુચિના જુદા જુદા માણસોને માફક આવી જાય તે રીતે ધર્મની વાતો અને આચારો નક્કી કરવામાં આવ્યાં છે .અમે પણ એક જ ઈશ્વરમાં અને એક જ પરમતત્ત્વમાં માનીએ છીએ . ’ ત્યારે પેલા પાદરીભાઈ કહે , ‘ મારા જોવામાં એવું કંઈ આવ્યું નથી . ’ એટલે તે જ દિનની રાતે સળંગ જાગતો બેસીને મેં તુજ ચરણે ’ લખી નાખ્યું અને બીજે દિવસે પાદરીભાઈને તે કાવ્ય બતાવ્યું . તેના લેખક કોણ છે , તે બતાવ્યું નહિ . તે ગુજરાતી જાણે એટલે તેમના કહેવાથી મેં આખું કાવ્ય વાંચી સંભળાવ્યું . તે સાંભળીને તે રાજી થયા . આમ , આમાં સાકાર અને નિરાકાર બંને રીતના પ્રભુનો , તેની ભક્તિનો ઉલ્લેખ છે અને વિશેષમાં આ કાવ્યના વેચાણમાંથી જે પૈસા મળ્યા , તેમાંથી મેં હિમાલયનો પહેલો પ્રવાસ ખેડ્યો .
– શ્રીમોટા
‘ શ્રીમોટા સાથે વાર્તાલાપ ’ , સાતમી આવૃત્તિ , પૃ . ૯૩-૯૪
પ્રશ્ન : ઘણા એમ કહેતા હોય છે , કે ‘ઘડપણમાં ગોવિંદ ગાઈશું’ . આ શક્ય છે ?
ઉત્તર : ઘડપણમાં મોટે ભાગે કોઈ ગોવિંદના ના ગુણ ગાઈ શકવાનું નથી . જીવનની સાધના એટલી સહેલી નથી . સાધનામાં જોઈતાં સાહસ , હિંમત , પુરુષાર્થનું બળ , ઉત્સાહ , ખંત , ધીરજ વગેરે ગુણો જુવાનીમાં જ વધુ ખીલેલા રહે છે . તે વેળાએ સાધનામાં જો ખૂંપી જવાનું બન્યું તો ઉત્તરોત્તર વિકાસ થયા કરવાનો . ત્યારે એવા માનવીને ઘડપણ હોવા છતાં ઘડપણ નહિ હોય . જુવાની એ તાજું ફૂલ છે . શ્રીભગવાનને ચરણે તાજાં ફૂલો ચડાવવાનાં હોય .
–શ્રીમોટા
‘શ્રીમોટા સાથે વાર્તાલાપ’ , આઠમી આ.; પૃ . ૧૪૬
લેખકના બે બોલ
અમદાવાદમાં ગુલબાઈના ટેકરે શ્રી પ્રમુખલાલભાઈને ત્યાં રોટલા જમવાનું આમંત્રણ હતું . ત્યાં બધા ભાઈઓ મળ્યા હતા . ‘જિજ્ઞાસા’ , ‘શ્રદ્ધા’ , ‘ભાવ’ , ‘નિમિત્ત’ , ‘રાગદ્વેષ’ , ‘કૃપા’ , ‘કર્મઉપાસના’, ‘શ્રીસદ્દગુરુ’ એ વિષય ઉપર જુદા જુદા સદ્ભાવીએ મને લખવાનું સૂચવ્યું . તેઓએ માત્ર લખવાનું સૂચવ્યું એટલું જ નહિ , પરંતુ તેનો પ્રકાશનખર્ચ પોતે માથે લઈ લેવાનું પ્રેમથી સ્વીકાર્યું અને તે છપાયેલાં પુસ્તકો વેચી આપવાનું પણ કબૂલ્યું . તેથી , श्रीहरि – કૃપાથી પરમાર્થમાં મદદ મળ્યાં કરી . વાતવાતમાં શ્રી પ્રમુખલાલભાઈએ મને ‘સ્વાર્થ’ ઉપર લખવા સૂચવ્યું અને પોતે તેનો ખર્ચ આપશે અને તે વેચી પણ આપશે એમ જણાવ્યું . આ સાંભળી એમ પ્રત્યાઘાત થયો કે ‘સ્વાર્થ’ વિશે શું લખવું ? એ તો ઉઘાડો જ છે , અને સ્વાર્થને તો બધાં જ ઓળખે છે . એ વિશે ઊંડું શું લખાય ? ’ વળી પાછું એમ થયું કે ‘ નાનામાં નાનું ભલેને અર્થ કે રહસ્ય વિનાનું હોય , છતાં તે વિશે શાસ્ત્ર કે વિજ્ઞાન જેવું લખાય ત્યારે જ ઉત્તમ .’ આવો વિચાર ઉદ્ભવ્યો અને श्रीहरि થી પ્રેરણા થઈ . એવામાં શરીરની – પેટની ભયંકર વેદના પ્રગટી અને દવાખાનામાં શરીરને દાખલ થવું પડ્યું . તે ગાળામાં ‘સ્વાર્થ’ અંગે માત્ર થોડુંક જ લખાયું હતું , તે પૂરું કરવામાં श्रीहरि થી દિલ લગાડવાનું થયું અને તે દવાખાનામાં જ પૂરું થયું .
આ ‘સ્વાર્થ’ લખવા જેમણે મને પ્રેર્યો , તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું . ‘સ્વાર્થ’ વિશે આવડ્યું તેવું ગાયું છે . એમાં જે દોષ હોય તે મારો છે . જે કંઈ સારું હોય તે श्रीहरिનું છે . સજ્જનો ફોતરાં ફોતરાં ફેંકી દઈ , કુશકા કાઢી નાખી ઉત્તમ ગ્રહવા કરવા જેવું લાગે તે ગ્રહણ કરશે એવી વિનંતી – પ્રાર્થના છે .
–મોટા
સ્થળ:- પી.ટી. જનરલ હોસ્પિટલ ,
બાલાજી રોડ , સુરત , તા . ૧૯-૨-૧૯૭૩
પૂજ્ય શ્રીમોટાએ ઘણીવાર હિમાલયની યાત્રા કરેલી . પોતાના સાધનાકાળ દરમિયાન યાત્રા કરેલી એના અનુભવો પૂજ્ય શ્રીમોટાએ વિગતે કહ્યા નથી . છતાં ત્રણેક જેટલા અનુભવો આલેખ્યા છે , પરંતુ ૧૯૪૫ માં પૂજ્ય શ્રી નંદુભાઈનો પરિવાર પુજ્ય શ્રીમોટા સાથે યાત્રાએ ગયેલો ત્યારે પૂજ્ય શ્રીમોટાના અલૌકિક અનુભવો પૂજ્ય શ્રીમોટાએ ‘ જીવનપોકાર ’ માં આલેખેલા છે . અને એકત્ર કરીને પ્રગટ કરવાનું શ્રી રમેશભાઈ ભટ્ટે સૂચવ્યું અને એ કામ એમણે હાથ પર લીધું . આ હકીકત તદ્દન નવા જ રૂપે એમણે સંપાદિત કરી છે .
પૂજ્ય શ્રીમોટાની સહાય ( આમુખ )
પૂજ્ય શ્રીમોટાએ પોતાના એક સ્વજનને લખેલા પત્રોનો આ સંચય જીવનવિકાસની સાધનાને અત્યંત સરળતાથી અને વ્યવહારુ રીતે સ્પષ્ટ કરે છે . પૂજ્ય શ્રીમોટાએ સંસારજીવનમાં રહીને પ્રભુમય જીવનનો અનુભવ કેવી રીતે પમાય એની અનેક રીતો દર્શાવી છે . એમાં સૌ કોઈ પોતપોતાનાં પ્રકૃતિ – સ્વભાવને સમજીને જાગૃતિથી કોઈ પણ રીતનો પ્રયોગ કર્યા કરે તો એને સવિશેષ તો પૂજ્ય શ્રીમોટાની ચેતનાશક્તિની સહાય મળ્યાનો અનુભવ થાય છે . પોતાની સાથે ‘ કોક ’ છે એવો સતત અનુભવ થતાં આપણામાં એક અનોખી હિંમત અને ધીરજ પ્રગટતાં અનુભવીએ છીએ .
પૂજ્ય શ્રીમોટાએ પ્રભુને બધું જ કહ્યા કરવાની રીત દર્શાવી છે . નિવેદનનો આ પ્રકાર અત્યંત સરળ હોવા છતાં કાળજીપૂર્વક આચરવાનો હોય છે . પ્રભુને કરાતાં નિવેદનમાં નિખાલસતા અને નિષ્ઠા અનિવાર્ય છે . જો નિખાલસતા હોય તો પ્રભુપ્રેમનો સ્પર્શ અનુભવાય અને નિષ્ઠા હોય તો પ્રભુપ્રેમ સ્પર્શની શક્તિથી વ્યવહારમાં નિવેદન દ્વારા વ્યક્ત થયેલી ભાવના જાગૃત રહે , અને જે ભાવનાથી કર્મ આચરવાં જોઈએ એવી ભાવનાથી એ આચરાય . નિવેદનની આ બારીક રેખા પ્રત્યે પૂજ્ય શ્રીમોટાએ ખાસ ધ્યાન દોર્યું છે .
બીજું ખુલ્લું થવા વિશેની વાત છે . આપણાં અંતઃકરણોમાં એટલે કે મન , બુદ્ધિ અને પ્રાણમાં જે વલણો જાગે છે , એને પ્રભુ સમક્ષ ખુલ્લાં કરી દેવાં રહ્યાં . મનના વિચારો , બુદ્ધિની શંકાઓ અને પ્રાણની વૃત્તિઓ જેવી જાગે એવી ખુલ્લી રીતે વ્યક્ત કરીને પ્રભુને પ્રભુના ચરણે ધરવી . એટલું જ નહિ પણ દિવસ દરમિયાન જે કંઈ કાર્ય આપણાથી થાય , જેવી ભૂમિકાથી થાય એ પણ ખુલ્લું કહી દેવું . ખુલ્લા થવામાં આ બીજો ભાગ મહત્ત્વનો છે . ખુલ્લા થવાની આ ક્રિયા જે કોઈ કરવા ઇચ્છે , એ સરળતાથી કરી શકે છે . આ ક્રિયા દ્વારા એક સૂક્ષ્મ પરિણામ આવે છે . જેથી સમજી આપણે ખુલ્લા થઈએ છીએ . એની સાથે આપણો દિલનો સંબંધ વધુ ગાઢ બનતો જાય છે . પરિણામે એમની ચેતનાશક્તિ આપણા સમગ્ર આધારમાં કામ કરતી થાય છે .
પૂજ્ય શ્રીમોટાએ મૌનએકાંતમાં નામસ્મરણ આદિ સાધનોની સાથે આવી કેટલીક મહત્ત્વની વ્યવહારુ સાધના આ પત્રોમાં સમજાવી છે . આ એકડો ઘૂંટવાથી ધીમે ધીમે એવો વિકાસ થશે કે જે અનંત તરફ દોરી જઈને , અનંતતાનો અનુભવ કરાવશે .
આ પત્રોમાંની એક ખાસ લાક્ષણિકતા છે . એમાં પૂજ્ય શ્રીમોટાએ પોતાના ગૂઢ – રહસ્યમય રૂપની ઝાંખી આપી છે . એક સ્થળે પૂજ્ય શ્રીમોટાએ લખ્યું છે કે , પોતે તાબોટા પાડનાર વ્યંઢળ નથી . આવી અભિવ્યક્તિ કોઈ પણ નવા વાચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે . પરંતુ પૂજ્ય શ્રીમોટાના સમગ્ર લખાણોમાં આવાં વચનો યથાર્થ રીતે પ્રગટ થયેલાં છે . લૌકિક અર્થમાં વ્યંઢળ શબ્દ તુચ્છ નિર્માલ્યપણાનું સૂચન કરનારો છે . પરંતુ એનો આધ્યાત્મિક અર્થ પણ છે . ‘ શ્રી સદ્દગુરુ ‘માં પૂજ્ય શ્રીમોટાએ આવી નાન્યતર જાતિ વિશે વાત લખી છે . એ પરથી સમજાય છે કે અનુભવની પણ એવી કક્ષા હોય છે જ્યાં સ્રી – પુરુષનો લિંગભેદ પરખાતો નથી . આવી અવસ્થામાં અત્યંત શક્તિ – સામર્થ્ય પ્રગટ થતાં હોય છે . ‘ તાબોટા ‘ એટલે માત્ર ખાલી પડેલો મોટો અવાજ એમ સમજવાનું છે . મતલબ કે પૂજ્ય શ્રીમોટા જે કંઈ કહે છે કે લખાણ દ્વારા વ્યક્ત થાય છે , એમાં નક્કરતા છે . માત્ર કહેવા કે સમજાવવા પૂરતું જ નથી . પરંતુ એ મુજબ આચરનારને એમની શક્તિની અખૂટ સહાય મળ્યાં જ કરે છે . આથી પૂજ્ય શ્રીમોટાના શબ્દો વાંચનારે એમ સમજવાનું નથી કે આમાં માત્ર ઠાલો ઉપદેશ છે . ક્યારેક પૂજ્ય શ્રીમોટાની વાણીમાં ઉગ્રતા – કઠણાશ હોય , ત્યારે પણ એમાં ઘાટ ઘડવાનું જોશ – જોમ – શક્તિ હોય છે . આથી એમની વાતને અવગણવી એ યોગ્ય નથી .
પૂજ્ય શ્રીમોટાએ આ પત્રોમાં પોતામાં પ્રગટ થયેલા વિભુત્ત્વની ઝાંખી વારંવાર કરાવી છે . આ પત્રોના વાંચનથી પૂજ્ય શ્રીમોટા સાથે સંબંધમાં આવનાર સૌ કોઈ તેઓશ્રીનું નિકટનું સ્વજન બની રહે છે . આ પત્રોમાંનો ઘણો જ મોટો ભાગ પદ્યમાં છે . એમાં આવી ઝાંખી – ઝલક વિશેષ પ્રમાણમાં અનુભવાય છે . ઉપરાંત એ પદ્યકથનમાં જીવન વિશેનું ગહન તત્ત્વજ્ઞાન પણ રજૂ થયું છે . એનું મનન – ચિંતન પણ વાચકને પૂજ્ય શ્રીમોટાના આંતરિક સ્પર્શનો અનુભવ અવશ્ય કરાવશે . પત્રસંચયનાં પ્રકાશનથી અભિનંદનીય ઉપકારક કાર્ય સધાઈ રહ્યું છે.
રમેશભાઈ મ . ભટ્ટ
તા .૧૩-૯-૧૯૯૫
અમદાવાદ -૩૮૦૦૦૭ .
સંપાદકના બે બોલ
આ ચોપડીમાંનું લખાણ જુદી જુદી વ્યક્તિઓને લખાયેલું છે અને તે દરેક વ્યક્તિના જીવનના જુદા જુદા પ્રશ્ન અને જુદી જુદી ભૂમિકા અંગેનું છે . તેથી , તેમાં અનેકવાર એકના એક ભાવાર્થવાળું લખાણ પણ ક્યાંક ક્યાંક આવી જાય છે . દરેક પથ એક સ્વતંત્ર વ્યક્તિને હોઈને તે આપણા સમાજમાંથી અનેક વ્યક્તિઓના જીવનને લાગુ પડી શકે તેવું છે .
સમાજમાં પ્રચલિતપણે ‘ પ્રેમ’નો જે અર્થ થાય છે , તેના કરતાં ઘણીયે ઉચ્ચ ભૂમિકાને ઉદ્દેશતું અને તેને વિષય કરતું આ બધું લખાણ છે . ધણીય વ્યક્તિ પોતે અંતરથી સાચી રીતે માનતી હોય કે તે પોતે પ્રેમની સાચી ભાવનાથી જ અમુક અમુક પ્રસંગોમાં દોરવાયેલી છે , પરંતુ તે તેના સાચા મૂલ્યાંકનમાં પ્રેમ નથી હોતો પણ કોઈ ને કોઈ પ્રકારની આસક્તિ કે મોહની વૃત્તિ જ હોય છે , તે બધું સ્પષ્ટપણે આ લખાણમાં સમજાવવામાં આવ્યું છે . પ્રેમનાં ઉત્તમોત્તમ લક્ષણો કર્યા અને શાં હોવાં ઘટે તેનો પણ તેમાં નિર્દેશ છે . લખનાર , પ્રેમ એટલે ભગવાનનો ભાવ એમ આખરે તો સમાવવા માંગે છે .
પતિ – પત્ની સાથેનો સંબંધ , મિત્ર – મિત્ર વચ્ચેનો સંબંધ , કૌટુંબિક અનેક વ્યક્તિઓ સાથેનો સંબંધ , સમાજ સાથેનો સંબંધ તથા વ્યષ્ટિ અને સમષ્ટિ સાથેનો સંબંધ – એ બધા માનવી જીવનોના સંબંધોમાં પરાત્પર પ્રેમ સુક્ષ્મ , સળંગ અને સમગ્રપણે ભાગ ભજવી રહેલો છે , તેનું પણ ભાન લખનાર , વાચકને જરૂર ઉપાવે છે . છેક સામાન્ય માનવીના જીવનની મૂઢતા અને તેની અશાન દેશાને સ્પષ્ટ ચિત્રની જેમ આલેખીને તેને પોતાની દશા શી છે તેની સામે આંગળી ચીપીને તેને તે દશામાંથી જાગૃત કરવાને અને ચેતનાપૂર્ણ જીવનના ઉત્ક્રાંતિપ્રેરક ચેતના , ભાવ શક્તિના પ્રેમસ્વરૂપને જીવનના એક મહાન આદર્શ તરીકે , એટલું જ નહિ પણ જીવનને એ રીતે સમજવાને , ઘડવાને અને અનુભવવાને લખનાર , પ્રેમને એક મહામોંઘામૂલા સાધન તરીકે રજૂ કરે છે.
આમાં આધ્યાત્મિક જીવનના ઉત્કૃષ્ટ અનુભવોની ભલે છાંટ , છાપ કે અસર કોઈને ન જણાય , તેમ છતાં તેમાં જીવનને સમજવા માગનાર અને જીવન પરત્વે જેની સાધનાની દૃષ્ટિ છે , એવાને ‘ એક ડગલું બસ થાય ‘ એટલું પોષણતત્ત્વ તો જરૂર મળી રહેશે એમ ખાતરીપૂર્વક લખવાનું મન થાય છે .
લખનાર , જુદી જુદી વ્યક્તિઓના સંબંધમાં આવેલા હોવાથી તેમને તેમની જીવનની ઘરેડમાંથી ઊંચે લાવવાને , કેટકેટલી તાલાવેલી થાય છે અને તેમને તેમના જીવનના તેવા તેવા વલણ કે વર્તનથી કેટકેટલું દુઃખ થાય છે એનું સંવેદન પણ આ લખાણમાં વાંચનારને અસર કર્યાં વિના રહેશે નહિ .
આ બધું લખાણ કોઈ ને કોઈ વ્યક્તિના તેમના પર આવેલા કાગળના પ્રતિ – ઉત્તરરૂપે લખાયેલું છે અને તે લખાણ એક રીતે તે તે વ્યક્તિના જીવન અંગે લખાયેલું હોવાથી ખાનગી ગણી શકાય , પરંતુ ‘ સ્વાનુભવમાં સર્વાનુભવ ‘ સમાતો હોવાથી તેને જનતા – જનાર્દનને ચરણે મૂકવાનું યોગ્ય ધાર્યું છે . તે તે વ્યક્તિઓ બધાં એક સ્વજન જેવાં છે એટલે તેમની આ કાગળો છપાવવાની પરવાનગી લીધી નથી , પરંતુ આ લખાણના છપાવવા સાથે તે બધાંની હૃદયની સંમતિ છે એમ માની લેવામાં આવ્યું છે અને આશા છે કે તે સર્વના તેમાં આશીર્વાદ છે જ .
આ ચોપડીના પ્રસ્તાવનાલેખક શ્રી ગુરુદયાલ મલ્લિકજી વિશે બે બોલ લખું તો તે અયોગ્ય નહિ ગણાય . તેઓ સરહદ પ્રાંતના છે અને ગુજરાતી લખાણ ઉપર તેઓ આવું પ્રસ્તાવનારૂપે લખે એટલે તો તેમના વિશે તે બાબતમાં સ્ફોટ કરવાનું ઉચિત જ છે . તેઓ સદ્દગત કવિવર ટાગોરના લગભગ ૨૦ વર્ષના સાથી છે અને તેઓશ્રીના ભક્ત છે . શાંતિનિકેતનના વિશ્વભારતીના તેઓ અંગ્રેજી વિષયના ઘણાં વર્ષો સુધી અધ્યાપક હતા . એક વખતના ખ્રિસ્ત સેવાસંધના પાદરી સભ્ય પણ હાલમાં ગોંડ જાતિને હૃદયથી અપનાવી તેની સેવા કરનાર તથા પૂજ્ય ગાંધીજીના નિકટ સમાગમમાં આવેલા શ્રી વેરિયર એલ્વિને , એક સ્પેનિશ અંગ્રેજ ભક્ત ‘ રિચર્ડ રોલબલ ‘ નું જીવનચરિત્ર લખ્યું છે . તે એમણે શ્રી ગુરુદયાલજીને સમર્પણ કરેલું છે . હિંદુસ્તાનના અંગ્રેજી ઉત્કૃષ્ટ માસિકોમાં તેમનાં આધ્યાત્મિક લખાણો વિશે જેમણે વાંચ્યું હશે , તેઓ તેમના નામથી જાણીતા હશે . તેઓ ગુજરાતી ભાષા વાંચીને સમજી શકે છે અને સાધારણ બોલી પણ શકે છે . લખનારે આ લખાણ તેમની સાથે બેસીને વાંચ્યું છે , સાધારણ ગુજરાતી સમજનાર એવા એમને આ બધું લખાણ સરળપણે સમજાયું છે , એટલે ગુજરાતી આમ જનતાને આ સમજાવવાને વિશેષ શ્રમ લેવો નહિ પડે એટલી સરળતા આ લખાણમાં છે .
આ ચોપડીનો આમુખ એક બહેને લખ્યો છે . ગુજરાતમાં સદ્દગત અબ્બાસ તૈયબજી સાહેબનું નામ સર્વ કોઈ જાણતું હશે જ . તેમનાં દીકરી શ્રીમતી રેહાનાબહેન તૈયબજી . અને તેમનું નામ પણ તેટલું જ જાણીતું છે . અને તે કરતાંયે તેમના હૃદયનો શ્રીકૃષ્ણ પરત્વેનો શુદ્ધ હૃદયનો ભક્તિભાવ એ તો એનાથીયે વિશેષ જાણીતો છે . તેમનાં ભજનો સાંભળવાં એટલે ભક્તિના ભાવમાં તરબોળ થઈ તેમાં લય પામવાનો અનુભવ . જોકે એમનાં ભજનોનો આસ્વાદ ગુજરાતને મળ્યો નથી એ એક દુર્ભાગ્યની વાત હું સમજું છું . તેમનાં થોડાંક ભજનો ‘ બુદ્ધિપ્રકાશ‘માં છપાયાં છે .તેમનું અંગ્રેજીમાં લખાયેલું સ્વયંપ્રેરિત ‘ The heart of a Gopi ’ ( ગોપીનું હૃદય ) જેમણે વાંચ્યું હશે તે તો તેમને કદી ભૂલી જઈ શકે તેમ નથી . તેમણે આ ચોપડીનો આમુખ લખી આપેલો છે . ભક્ત હૃદય જ ભક્તને પારખી શકે . કોઈ પણ વસ્તુનું તારતમ્ય , મહત્ત્વ કે રહસ્ય તેનું જે કોઈ પરમ ભક્ત હોય તે જ પૂરું નાણી શકે . તેમણે જે પ્રેમભાવે લખનારની કદર બૂજી છે , એ રીતે લખનારને અનુભવવાની શ્રદ્ધાભક્તિવાળી તાકાત અમારા જીવનમાં પ્રગટો તે પ્રાર્થના છે .
ભાઈશ્રી કાંતિભાઈએ આ બધાં લખાણો ઉતારવામાં જે શ્રમ ઉઠાવ્યો છે . તે શ્રમનો તેમને જીવનમાં પ્રેરણાત્મકપણે ચિતવનરૂપે ખ્યાલ જાગ્યા કરો એટલી પ્રાર્થના છે . અને જે જે વ્યક્તિઓને ઉદ્દેશીને આ લખાણો લખાયાં છે . તે તે વ્યક્તિ આ લખાણો વાંચીને પોતે વધારે ને વધારે પોતાના જીવનના ધ્યેયમાં નિષ્ઠા પામતાં જાય એવી પણ અપેક્ષા હૃદયમાં જાગે છે .
નંદલાલ ભોગીલાલ શાહ
ગુરુપૂર્ણિમા : સં . ૨૦૦૩ – સને ૧૯૪૭
હરિજન આશ્રમ , સાબરમતી